Shri Yogeshwarji's autobiography

પ્રકાશના પંથે

An astounding journey into his extraordinary life

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 
   
< BACK

આત્મકથા

NEXT >

૧૪. આશ્રમજીવનની બીજી વાતો

 

આપણે ત્યાં જીવનકથા કે આત્મકથાનું સાહિત્ય વધતું જાય છે તે ખરેખર આનંદની વાત છે. તે પ્રકારના સાહિત્યક્ષેત્રનો જેટલો વિકાસ થાય તેટલો લાભકારક છે. જુદા જુદા દૃષ્ટિકોણથી તૈયાર થયેલી જીવનના જુદા જુદા પ્રવાહોને રજૂ કરનારી સત્ય ઘટનાત્મક કથાઓ વધારે ને વધારે પ્રમાણમાં બહાર પડે તે ઇચ્છવા યોગ્ય છે. તેથી લોકોને માનવજીવન, માનવ સ્વભાવ ને માનવ પુરુષાર્થની વિવિધતાનો ખ્યાલ આવશે અને બીજાના જીવનના ઘડતરમાં તે ફાળો ઘણો ઉપયોગી થઇ પડશે. સાધારણ રીતે આપણે ત્યાં મોટાભાગના લોકોમાં કંઇક એવો ખ્યાલ પ્રવર્તે છે કે જે મહાન હોય ને જેણે કોઇક મહાન પરાક્રમનું કામ કર્યું હોય તે જ પોતાની જીવનકથા લખી શકે. કેમ કે સાધારણ શ્રેણીના માણસના જીવનમાં બીજાને બતાવવા જેવું ને પ્રેરણા પૂરી પાડવા જેવું શું છે ? પરંતુ ખરી રીતે તેવું નથી. દરેક માણસના જીવનમાં વત્તીઓછી પ્રેરણાત્મક શક્તિ રહેલી હોય છે. તદ્દન સામાન્ય જેવા દેખાતા જીવનમાં પણ કેટલીક વાર એવી અસાધારણતા, એવું જાદુ ને પ્રેરણાબળ ભર્યું હોય છે જે આપણા અંતરમાં આદરભાવ જગાડે અને અલૌકિકતા જન્માવે. એટલે બહારથી સાધારણ ને વિશેષતા વિનાના દેખાતા જીવનને તદ્દન સાધારણ માની લઇને સદાને માટે ઉપેક્ષાની નજરે જોવાની જરૂર નથી. માણસે પોતે પોતાને દીન ને હીન માનીને પોતાના જીવનને ક્ષુદ્ર માનવાની પણ જરૂર નથી. સાધારણ કે અસાધારણ માનતા જે માનવને પોતાના જીવનની રજૂઆત જાહેર રીતે કરવાનું ઠીક લાગતું હોય ને તેવી રજૂઆતની કલા જેને સિદ્ધ થઇ ચૂકી હોય તે પોતાની જીવનકથા કે આત્મકથા લખી શકે છે. તેનો પ્રયાસ અવશ્ય આવકારદાયક ગણાશે.

જીવનકથા કે આત્મકથાનું આલેખન કોઇ દિલ બહેલાવ કે રમત નથી. કોઇ લૌકિક લાલસા કે મહત્વકાંક્ષાના પોષણનું તેમજ આત્મવિજ્ઞાપનનું અસરકારક સાધન પણ નથી, તે તો એક કષ્ટ કે સાધના છે. જીવનની શુદ્ધિ ને જીવનના વિકાસનું એક મોટું મદદકારક પીઠબળ છે. જીવનને ઉજ્જવલ કરવામાં મોટો ભાગ ભજવનારી વિદ્યા છે. જીવનને શુદ્ધ ને ઉચ્ચ બનાવવા માટે એનો આધાર લેવો આવશ્યક છે. જે માણસને જીવનનો વિચાર કરવાની ટેવ નથી તે પોતાની જાતને ભાગ્યે જ મહાન બનાવી શકશે. પોતાની જાતની ઉન્નતિ પણ ભાગ્યે જ કરી શકશે. જીવનનું આલેખન શબ્દોમાં કરવું જ જોઇએ એવો કોઇ ખાસ નિયમ નથી. તે તેની રુચિ પર અવલંબે છે. પરંતુ વિચારના પ્રદેશમાં, ચિંતન, મનન ને નિદિધ્યાસનના સાધનો દ્વારા તેનું આલેખન કરવાની ટેવ તો તેણે પાડવી જ જોઇએ. તે કળામાં તો તેણે પારંગત થવું જ જોઇએ. જીવનના વિકાસ માટે તે ખૂબ જ જરૂરી છે.

આત્મકથાનું આલેખન એક કળા છે એ વાતનો ખ્યાલ રાખીને એનો આશ્રય લેનારે ખૂબ ખૂબ સાવધ ને જાગ્રત રહેવાની જરૂર છે. સત્યને વફાદાર રહીને તેણે પોતાની જાતને જેવી હોય તેવી જ ચીતરી બતાવવાની છે. હૃદયમાં એક અને વાણીમાં બીજી એવી બે વાતોના પૂજારી તેણે બનવાનું નથી. અતિશયોક્તિના ઉન્માદમાંથી બચવાનું છે. તેની સાથે સાથે પોતાની જાતને વધારે પડતી કંગાળ ને હોય તેથી પણ દીન બતાવવાની ઘેલછામાં પણ નથી પડવાનું. આત્મપ્રશસ્તિ અને આત્મનિંદા બંનેના કેફથી સાવધ રહેવાનું છે. સત્ય ને વાસ્તવિકતાને વફાદાર રહીને, તટસ્થતાને વળગી રહીને પોતાની કથાને કહેવાની કળા તે સાધી લે તે જરૂરી છે. ઉપરાંત, તેણે પોતાની જાતના વિવેચક થવાની પણ આવશ્યકતા છે. તો જ તે જીવનના સારભાગને રજૂ કરીને પોતાની ને બીજાની સેવા કરી શકશે ને પોતાના જીવનનું આલેખન કરીને બેસી રહેવાને બદલે જીવનના વિકાસમાં રસ લઇને તે વિકાસને પરિપૂર્ણ કરવાની કોશિશ કરશે. એ દૃષ્ટિનો સ્વીકાર કરીને આત્મકથાના આ આલેખનમાં હું ઉત્તરોત્તર આગળ વધી રહ્યો છું.

 

(From Shri Yogeshwarji's autobiography entitled 'Prakash Na Panthe')

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer