|
અરણ્યકાંડમાં શબરીનો સમાગમ પ્રસંગ વર્ણવેલો છે. કથાકારો શબરીના વ્યક્તિત્વને
કલ્પનાના આધાર પર કોઇપણ પ્રકારના શાસ્ત્રાધાર સિવાય કોઇવાર જનરંજન માટે રજૂ
કરતા હોય છે. વાલ્મિકી રામાયણમાં શબરીનું પાત્ર અતિશય ધીર, ગંભીર, ગૌરવશાળી છે.
રામચરિતમાનસમાં એનું વ્યક્તિત્વ ભક્તિભાવપ્રધાન બને છે. છતાં પણ એ વ્યક્તિત્વ
છે તો પ્રશસ્ય અને ગૌરવશાળી.
રામ લક્ષ્મણ સાથે શબરીના આશ્રમમાં પહોંચ્યા ત્યારે શબરીએ એમનું સાદર સ્વાગત
કર્યું. પ્રભુનાં પવિત્ર પદપ્રક્ષાલન પછી એમની સ્તુતિ કરીને એમને ફળફૂલ ધર્યાં.
રામે એ ફળને વખાણ્યાં. કેટલાંક કવિએ કે કથાકારો એણે રામને એંઠા બોર આપ્યા એવું
જણાવે છે, એની પાછળ કશી વાસ્તવિકતા નથી. રામચરિતમાનસમાં એવું વર્ણન ક્યાંય નથી.
વાલ્મીકિ રામાયણમાં પણ નથી.
શબરીએ કહ્યું
अधम ते अधम अधम अति नारी।
तिन्ह महँ मैं मतिमंद अघारी ॥
શબરીના એ કથનમાં કેટલીક વ્યક્તિઓને દોષ દેખાય છે. એ કહે છે કે રામાયણમાં
સ્ત્રીઓને અધમ કહી છે. પરંતુ ઉપર્યુક્ત શબ્દો શબરીના નમ્રતાના સૂચક હોઇ શકે.
અધમાધમ સ્ત્રીઓમાં પણ હું અધમ, મંદબુદ્ધિ એવું એ કહી બતાવે છે.
શબરી પરમસિદ્ધ તપસ્વિની અને દિવ્યદ્રષ્ટિથી સંપન્ન સન્નારી હોવાથી બોલી કે રામ,
તમે પંપા
સરોવર જાવ. ત્યાં સુગ્રીવ સાથે તમારી મૈત્રી થશે. તે બધું કહેશે.
શબરીએ રામદર્શનથી કૃતકૃત્ય બનીને યોગાગ્નિથી શરીરત્યાગ કર્યો.
કવિએ એવી રીતે શબરીનો અને એની દ્વારા ઉત્તમ સુસંસ્કારી સ્ત્રીનો મહિમા ગાયો છે.
રામે શબરીની સમક્ષ કરેલું નવધા ભક્તિનું વર્ણન ખરેખર રસમય છે.
|