|
રામ હનુમાનના પરમ આરાધ્ય કે ઉપાસ્ય દેવ.
હનુમાન એમના અનાદિકાળના એકનિષ્ઠ અનન્ય આરાધક અથવા ભક્ત.
એમના જીવનકાર્યમાં મદદરૂપ થવા માટે આવેલા. એમના એક અવિભાજ્ય અંગ જેવા.
એમના વિના રામજીવનની કલ્પના થઇ જ ના શકે.
મહાપુરૂષો પૃથ્વી પર પ્રાદુર્ભાવ પામે છે ત્યારે એમને મદદરૂપ થવા માટે એમની
આગળપાછળ એમના પ્રાણવાન પાર્ષદો પણ પધારતા હોય છે. હનુમાન રામના પવિત્ર પાર્ષદ
હતા. એ એમને સુયોગ્ય સમય પર મળી ગયા.
રામ લક્ષ્મણ સાથે ઋષ્યમૂક પર્વત પાસે પહોંચ્યા ત્યારે એમને દૂરથી દેખીને
સુગ્રીવે હનુમાનને એમની માહિતી મેળવવા મોકલ્યા. એવી રીતે વિપ્રરૂપવાળા હનુમાનને
એમના સમાગમનું સુરદુર્લભ સૌભાગ્ય સાંપડ્યું.
હનુમાનની જિજ્ઞાસાના જવાબમાં રામે પોતાનો પરિચય આપ્યો એટલે હનુમાને એમને ઓળખીને
પ્રણિપાત કરીને કહ્યું કે મેં મારી અલ્પબુદ્ધિને અનુસરીને આપને પૂછ્યું પરંતુ
આપ મને કેમ ભૂલી ગયા ? આપની માયાથી મોહિત જીવ આપના અનુગ્રહ સિવાય તરી શકતો નથી.
मोर न्याउ मैं पूछा साईं। तुम्ह पूछहु कस नर की नाईं ॥
રામચરિતમાનસમાં સાંઇ તથા ગોસાંઇ શબ્દપ્રયોગ કેટલીયવાર કરવામાં આવ્યા છે -
ભગવાનના ભાવાર્થમાં.
સામાન્ય રીતે ભક્ત ભગવાનને મળવા આતુર હોય છે ને સાધના કરે છે, ભગવાન પાસે
પહોંચે છે. પરંતુ અહીં ભગવાન સ્વયં સામે ચાલીને ભક્તને આવી મળે છે. ભક્ત એથી
પોતાને પરમ સૌભાગ્યશાળી સમજે છે. સાચો ભક્ત પરમ યોગ્યતાથી સુસંપન્ન હોવા છતાં
નમ્રાતિનમ્ર હોય છે એ હકિકત હનુમાન પોતાને
'મંદ
મોહવશ, કુટિલ હૃદય અજ્ઞાની કહે છે તેના પરથી સમજી શકાય છે.
હનુમાન એમને બંનેને પોતાની પીઠ પર બેસાડીને પર્વત પર બિરાજેલા સુગ્રીવ પાસે લઇ
જાય છે એ વર્ણન પરથી એમનું શરીરબળ કેટલું બધું અસાધારણ હશે એનું અનુમાન કરી
શકાય છે.
સુગ્રીવ અને રામની મિત્રતા એમને લીધે જ થઇ શકી. સુગ્રીવે એમને લીધે જ રામને
અગ્નિસાક્ષીમાં પોતાના મિત્ર માનીને સીતાની શોધ માટે સર્વકાંઇ કરી છૂટવાનો
સંકલ્પ કર્યો. હનુમાનનું એ અસાધારણ કાર્ય કેવી રીતે ભૂલાય ?
|