|
કુંજમાંથી
કૂજન કરતી કોકિલના કંઠમાંથી કામણ કરનાર કોણ છે
?
તે જ તને કામણ કરે છે, તથા તારા કાળજાને કોમળ કરીને કાયમને કાજે કેદ કરે છે.
કુંજમાંથી કૂજન કરતી કોકિલના કંઠમાંથી કામણ કરનાર કહીશ કે કોણ છે
?
*
પરિમલ ભરેલાં,
પ્રફુલ્લ પુષ્પોની પાંખડી પર પ્રેમના પવિત્ર પરમાણુને પ્રકટાવીને, તને
પ્રસન્નતાથી પરિપ્લાવિત કરનાર કોણ છે
?
તે જ તને પરિપ્લાવિત કરે છે, તથા તારા પ્રાણને પ્રેમમય કરીને પ્રભુતાથી પલાળી
દે છે. પરિમલભર્યા, પ્રફુલ્લ પુષ્પોની પાંખડી પર, પ્રેમના પવિત્ર પરમાણુને
પ્રકટાવીને, તને પ્રસન્નતાથી પરિપ્લાવિત કરનાર કહીશ કે કોણ છે?
*
સરિતા, સાગર
ને સ્ત્રોતના સુમધુર સલિલમાં, સ્વર્ગીય સંગીતનું શ્રવણ કરાવતાં, સ્નાન કરનાર ને
સુખશાંતિમાં સ્નાન કરાવનાર કોણ છે
?
તે જ તને સ્નેહની સ્વર્ગીય સુધામાં સ્નાન કરાવે છે, તથા તારા સર્વસ્વને સનાતન
સુખથી સજી દે છે. સરિતા, સાગર ને સ્ત્રોતના સુમધુર સલિલમાં, સ્વર્ગીય સંગીતનું
શ્રવણ કરાવતાં, સ્નાન કરનાર ને સુખશાંતિમાં સ્નાન કરાવનાર કોણ છે
?
*
વ્યોમના વિશાળ
વિતાન પર, અભ્રના અસાધારણ આસન પર આસીન થઈને, અનુરાગની અભિવ્યક્તિ કરનાર કોણ છે
?
તે જ તારા તરફ વહાલને વ્યક્ત ને વહેતું કરે છે અને તારા અણુએ અણુને અલૌકિક કરે
છે. વ્યોમના વિશાળ વિતાન પર, અભ્રના અસાધારણ આસન પર આસીન થઈને અનુરાગની
અભિવ્યક્તિ કરનાર કહીશ કે કોણ છે
?
*
બાળકોની બેતાલ
બોલીમાંથી, સ્નેહીજનના સરસ, શીતળ સ્પર્શમાંથી, ને અનેકની અમૃતમય, અજોડ આંખ કે
કુદરતની કળાત્મક ક્રિયાથી, પોતાનો પુરાતન, પ્રેમપૂર્ણ પરિચય પૂરો પાડનાર કોણ છે
?
તે જ પોતાના પ્રેમના પડછંદા પાડે છે, તેમજ હૃદયને રાગમય ને રસાળ કરે છે. તને જો
આટલું સમજાઈ જાય તો જીવન જ્યોતિમય અને અવનવું થાય. અમાસના અંધારા આવાસમાં
પૂનમનું પ્રભાત થાય, વેદથી વધારે વરવો વાયુ વાય, સાધના સમાપ્ત થાય, કે કલેશ
કપાઈ જાય ! |