એટલું તો સમજી લેજે ઓ ગાયક !
હૃદયની વીણાને મેં અનેક રાગરાગિણીથી ભરી છે;
અનેક પ્રકારના સંગીતસ્વરથી સુશોભિત કરી છે;
એના પ્રત્યેક તારમાં, સૂરમાં ને તાલમાં
મારા પ્રાણની પળેપળની સાધના ભરી છે.
એકના એક આલાપને બંધ કર, ગાયક !
હમેશને માટે મારી દૃષ્ટિ નૂતનની શોધમાં રહી છે;
સુંદર ને અભિનવની મેં નિરંતર પૂજા કરી છે.
રખે તું કહેતો કે એમાં કોઈ પૂર્વાલાપની છાયા રહી છે
કે કો'ક ઋષિની પ્રતિભા ભરી છે !
સુંદર ને અભિનવની મેં હરહંમેશ પૂજા કરી છે.
ઋષિ તું ભલે કહે કે બ્રહ્મર્ષિયે ભલે ગણે;
એથી પણ આગળની મારી સ્થિતિ રહી છે.
તને કેમ કરીને કહું, ગાયક !
આ તો મારા હૃદયના એક સહસ્ત્રાંશની જ પ્રતિચ્છબી છે ?
ને એથી જ હું વિચારમાં પડ્યો છું,
ઓ મહાકવિ !
જે હૃદયમાં આ સુમધુર સૂરાવલિ ઊઠી છે,
તે હૃદયની શી સ્થિતિ............?
તે ગીતનો વિષય નથી, પ્યારા ગાયક !
તેની ગીતિ જ નથી !
- શ્રી યોગેશ્વરજી