if (!window.top.location.href.startsWith("https://swargarohan.com/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
પ્રશ્ન: હિંદુ ધર્મ આમ તો સનાતન, મહાન, વિશાળ અને એકેશ્વરવાદી કહેવાય છે. પરંતુ જો ઝીણવટથી વિચાર કરવામાં આવે તો જણાય છે કે એની અંદર એકવાક્યતા નથી. હિંદુ ધર્મમાં જે જુદાં જુદાં પૂજાનાં વિધાન છે, જુદાં જુદાં મંત્રો છે, જુદાં જુદાં ધ્યાનનાં પ્રતીક, પુસ્તક કે અનેક દેવદેવી છે, તે એકેશ્વરવાદના સિદ્ધાંતને અનુકૂળ છે ખરાં ? એ હિંદુ ધર્મના દોષરૂપ નથી લાગતાં ? એમાં હિંદુ ધર્મની વિશાળતા દેખાય છે કે સંકુચિતતા, અને મહાનતા દેખાય છે કે અલ્પતા ? મને લાગે કે હિંદુ ધર્મના પછાતપણાનો તે નમૂનો છે.
ઉત્તર : ખરેખર તેવું નથી, તમને જેમાં હિંદુ ધર્મનું પછાતપણું લાગે છે, એની અલ્પતા કે સંકુચિતતા દેખાય છે, તેમાં જ જો વધારે ઝીણવટથી શાંતિપૂર્વક વિચાર કરશો તો હિંદુ ધર્મની મહાનતા ને વિશેષતા દેખાશે અને એકેશ્વરવાદનો સિદ્ધાંત પણ એમાં ઓતપ્રોત થયેલો લાગ્યા વિના નહિ રહે. એવા વિચારથી તમને હિંદુ ધર્મને માટે માન ઉત્પન્ન થશે એ પણ એટલું જ સાચું છે.

પ્રશ્ન : કેવી રીતે ?
ઉત્તર : હિંદુ ધર્મ એક મહાન વૈજ્ઞાનિક ધર્મ છે. માનવમન તેમજ માનવ સ્વભાવના ઊંડા અધ્યયન પછી એની રચના થઈ છે. એ ધર્મના આચાર્યો માનવની રૂચિ તથા પ્રકૃતિની વિવિધતાને જાણતા હતા. માનવની ભાવના, ઈચ્છા તથા પસંદગી એક સરખાં નથી પરંતુ ભિન્ન-ભિન્ન છે, જેની તેમને ખબર હતી અને તેની આકાંક્ષાઓ તેમજ વિકાસની પદ્ધતિઓ પણ અલગ છે એ હકીકતનું તેમને ભાન હતું. એટલા માટે જ એ માનતા હતા કે બધા માણસોને માટે પૂજાસેવાના એક સરખા પ્રતીકો કે સાધનો ન હોઈ શકે. રૂચિ જુદી જુદી છે માટે વિકાસના સાધનો અથવા વિકાસના માર્ગો પણ ભિન્નભિન્ન જ હોઈ શકે. એ બાબતમાં સૌને એક સરખો લાગુ પડે તેવો લશ્કરી કાયદો તથા લશ્કરી માનસ ઊભું કરવાની જરૂર નથી. બધા ઈશ્વરનો સાક્ષાત્કાર કરે અને એ રીતે પોતાના જીવનનું મંગલ કરે એ વાત બરાબર છે, પરંતુ એને માટેનાં સાધનોનો એક સરખો આગ્રહ રાખવો નકામો છે. એવો આગ્રહ પાયા વિનાનો પુરવાર થશે. તે ઘર્ષણ જન્માવશે, તથા ધારેલું ફળ નહિ આપી શકે.

સૌ કોઈ આગળ વધે એવું આપણે અવશ્ય ઈચ્છીએ છીએ, પરંતુ અમુક જ પદ્ધતિનો આધાર લઈને આગળ વધે એવું નથી ઈચ્છતા. એની પાછળ હિંદુ ધર્મના પ્રણેતા પુરૂષોનો ઊંડો મનોવૈજ્ઞાનિક અભ્યાસ રહેલો છે. તેથી જ એ ધર્મના જુદાં જુદાં પ્રતીક પુસ્તક, સાધનના માર્ગો કે દેવદેવી છે. તેમાંથી પોતપોતાની રૂચિ અને પ્રકૃતિ પ્રમાણેની પસંદગી કરવા સૌ કોઈ સ્વતંત્ર છે, એ બધી વિભિન્નતાઓ હોવા છતાં એ એક જ ઈશ્વરનો ઉપદેશ આપે છે અને એ ઈશ્વરના સાક્ષાત્કારનો સંદેશો પૂરો પાડે છે. તેમ જ દુનિયાની બહારની વિભિન્નતામાં રહીને અંદરખાને રહેલા ઈશ્વરની ઝાંખી કરવાનું શીખવે છે. દેવદેવીને તે એક વિરાટ ઈશ્વરનાં જ પ્રતીક માને છે. એવી રીતે સમજશો તો તમારી શંકા દૂર થશે.
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.