પ્રશ્ન : તુલસીકૃત રામાયણમાં સુગ્રીવ રામને કહે છે કે રાજ્ય-સુખ મળવાથી હું પ્રમાદી થઈને તમને ભૂલી ગયો એ મારી ભારેમાં ભારે ભૂલ થઈ. આ જગતમાં જે કામ, ક્રોધ, મદ, મોહ અને અહંકારરૂપી દૂષણો છે તેમને કોઈ વીરલ ભાગ્યશાળી પુરૂષ જ તમારી કૃપા હોય તો જીતી શકે છે. તો શું ઈશ્વરની કૃપા વિના એ દોષોને જીતી જ ન શકાય ? મનુષ્યના વ્યક્તિગત સ્વતંત્ર પુરૂષાર્થનું કોઈ મૂલ્ય જ નથી ?
ઉત્તર : મનુષ્યના વ્યક્તિગત સ્વતંત્ર પુરૂષાર્થનું કોઈ મૂલ્ય જ નથી એવું તો કોઈ ધર્મશાસ્ત્રે નથી કહ્યું અને રામાયણના રચયિતા તુલસીદાસ પણ એવું ક્યાં કહે છે ? રામાયણમાં કેટલે ય ઠેકાણે એ જીવનની સાર્થકતા માટે પુરૂષાર્થ કરવાનો આદેશ આપે છે, ને પેલી પ્રસિદ્ધ ચોપાઈમાં એ જ વાતનું પ્રતિબિંબ પાડતાં કહે છે કે બડે ભાગ માનુષતન પાવા - મનુષ્ય શરીર બહુ મોટા ભાગ્યથી મળે છે. એવા સાધનોના ધામ ને મોક્ષના દ્વાર જેવા મનુષ્ય શરીરને મેળવીને જે સંસારના ભોગોમાં જ રત રહે છે ને મુક્તિ, શાંતિ કે પરમાત્માને પામવાનો પ્રયાસ નથી કરતાં, તે દુઃખી થાય છે, પાછળથી પસ્તાય છે, ને કાળને, કર્મને તથા ઈશ્વરને મિથ્યા દોષ આપ્યા કરે છે. એમના એ કથનમાં પણ મનુષ્યે પોતાના આત્મવિકાસ અથવા શ્રેયને માટે પુરૂષાર્થ કરવો એવું જ સૂચવવામાં આવ્યું છે. એણે પ્રમાદી બનીને બે હાથ જોડીને અકર્મણ્ય બનીને બેસી રહેવું એવું ક્યાંય નથી કહ્યું.
પ્રશ્ન : તો પછી સુગ્રીવના મુખમાં જે શબ્દો મૂકવામાં આવ્યા છે એમનો અર્થ શો ? તમે કહો છો એ વાત જ જો સાચી હોય તો સુગ્રીવના એ શબ્દો શું વિરોધાભાસી નથી લાગતા ? ઈશ્વરની કૃપા પર જ એ બધો આધાર રાખવાનું નથી શીખવતા ?
ઉત્તર : હું એવું નથી માનતો. સુગ્રીવના શબ્દો એની પ્રકૃતિ પ્રમાણે બરાબર જ બોલાયા છે. એ શબ્દોમાં ભારોભાર નમ્રતા રહેલી છે. જીવનમાં જે સારૂં થાય છે કે મેળવાય છે તેનો યશ એક ઈશ્વરને જ આપવો અને એક ઈશ્વરની કૃપાથી જ તે થાય છે ને મેળવાય છે એવો વિશ્વાસ રાખવો. એમાં કાંઈ ઓછી નિરભિમાનીતા કે નમ્રતાની જરૂર નથી પડતી. મહાન પુરૂષો પોતાની સિદ્ધિ, સફળતાઓ વિશે ઉલ્લેખ કરવાનો વખત આવે ત્યારે એવી જ ભાષામાં લખતા કે બોલતા હોય છે. બીજા પણ લખે-બોલે એ આવકારદાયક છે. એટલે તો આપણે કહીએ કે ઈશ્વરની ઈચ્છાશક્તિ વિના એક પાંદડું પણ નથી હાલતું. પરંતુ એનો ભળતો ભાવાર્થ લઈને જો આપણે દીન, હીન, આળસુ, એદી ને પામર બનવા માંડીએ અને એમાં ગૌરવ ગણીએ તો એવી પદ્ધતિ કોઈને પણ ઉપયોગી નહિ થઈ શકે. ઈશ્વરની કૃપા આપણા પર છે જ અને વધારે ને વધારે થશે જ એમ માનીને આપણે દૂષણોને દૂર કરવાનો પ્રામાણિક પુરૂષાર્થ કરીએ તો ઓછાવત્તા પ્રમાણમાં જરૂર સફળ થઈએ એમાં લેશ પણ સંદેહ નથી જ.
ઉત્તર : મનુષ્યના વ્યક્તિગત સ્વતંત્ર પુરૂષાર્થનું કોઈ મૂલ્ય જ નથી એવું તો કોઈ ધર્મશાસ્ત્રે નથી કહ્યું અને રામાયણના રચયિતા તુલસીદાસ પણ એવું ક્યાં કહે છે ? રામાયણમાં કેટલે ય ઠેકાણે એ જીવનની સાર્થકતા માટે પુરૂષાર્થ કરવાનો આદેશ આપે છે, ને પેલી પ્રસિદ્ધ ચોપાઈમાં એ જ વાતનું પ્રતિબિંબ પાડતાં કહે છે કે બડે ભાગ માનુષતન પાવા - મનુષ્ય શરીર બહુ મોટા ભાગ્યથી મળે છે. એવા સાધનોના ધામ ને મોક્ષના દ્વાર જેવા મનુષ્ય શરીરને મેળવીને જે સંસારના ભોગોમાં જ રત રહે છે ને મુક્તિ, શાંતિ કે પરમાત્માને પામવાનો પ્રયાસ નથી કરતાં, તે દુઃખી થાય છે, પાછળથી પસ્તાય છે, ને કાળને, કર્મને તથા ઈશ્વરને મિથ્યા દોષ આપ્યા કરે છે. એમના એ કથનમાં પણ મનુષ્યે પોતાના આત્મવિકાસ અથવા શ્રેયને માટે પુરૂષાર્થ કરવો એવું જ સૂચવવામાં આવ્યું છે. એણે પ્રમાદી બનીને બે હાથ જોડીને અકર્મણ્ય બનીને બેસી રહેવું એવું ક્યાંય નથી કહ્યું.
પ્રશ્ન : તો પછી સુગ્રીવના મુખમાં જે શબ્દો મૂકવામાં આવ્યા છે એમનો અર્થ શો ? તમે કહો છો એ વાત જ જો સાચી હોય તો સુગ્રીવના એ શબ્દો શું વિરોધાભાસી નથી લાગતા ? ઈશ્વરની કૃપા પર જ એ બધો આધાર રાખવાનું નથી શીખવતા ?
ઉત્તર : હું એવું નથી માનતો. સુગ્રીવના શબ્દો એની પ્રકૃતિ પ્રમાણે બરાબર જ બોલાયા છે. એ શબ્દોમાં ભારોભાર નમ્રતા રહેલી છે. જીવનમાં જે સારૂં થાય છે કે મેળવાય છે તેનો યશ એક ઈશ્વરને જ આપવો અને એક ઈશ્વરની કૃપાથી જ તે થાય છે ને મેળવાય છે એવો વિશ્વાસ રાખવો. એમાં કાંઈ ઓછી નિરભિમાનીતા કે નમ્રતાની જરૂર નથી પડતી. મહાન પુરૂષો પોતાની સિદ્ધિ, સફળતાઓ વિશે ઉલ્લેખ કરવાનો વખત આવે ત્યારે એવી જ ભાષામાં લખતા કે બોલતા હોય છે. બીજા પણ લખે-બોલે એ આવકારદાયક છે. એટલે તો આપણે કહીએ કે ઈશ્વરની ઈચ્છાશક્તિ વિના એક પાંદડું પણ નથી હાલતું. પરંતુ એનો ભળતો ભાવાર્થ લઈને જો આપણે દીન, હીન, આળસુ, એદી ને પામર બનવા માંડીએ અને એમાં ગૌરવ ગણીએ તો એવી પદ્ધતિ કોઈને પણ ઉપયોગી નહિ થઈ શકે. ઈશ્વરની કૃપા આપણા પર છે જ અને વધારે ને વધારે થશે જ એમ માનીને આપણે દૂષણોને દૂર કરવાનો પ્રામાણિક પુરૂષાર્થ કરીએ તો ઓછાવત્તા પ્રમાણમાં જરૂર સફળ થઈએ એમાં લેશ પણ સંદેહ નથી જ.