માનવી, કેમ દુ:ખથી ડરે,
સુખ તણો સાગર જો ઊછળે !
શોકિત થાયે, તપે તાપથી,
સંકટથી કાં ડરે;
ભયભીત બને, રોવે શાને,
શાને ચિંતા કરે ....માનવી
ઉલ્લાસ તજે છેક જ શાને,
આશાને પરહરે ?
અમૃત ફલ જેવું જીવન આ,
વિષમય શાને કરે ? ....માનવી
મૃત્યુનો ભય જન્મ જરાનો,
ભય શું હૈયે ધરે,
સિંહ બાલ તું અજા બનીને,
નિર્બળ શાને ફરે ? ....માનવી
નામતણું મુક્તાફલ સેવ્યે,
દૈન્ય બધુંય ટળે;
પ્રેમતરૂને સેવી લે તું,
ફલને છાયા મળે ....માનવી
ભવસાગર સંકટ સાગર છે,
દુસ્તર કહ્યો ખરે;
પ્રભુના પ્રેમે ‘પાગલ’ થાયે,
તે પણ તેને તરે ....માનવી
- શ્રી યોગેશ્વરજી

