१. पुरूषार्थोङतश्शब्दादिति बादरायणः ।
અર્થ
પુરૂષાર્થઃ = પરમાત્માની પ્રાપ્તિરૂપી પુરૂષાર્થની સિદ્ધિ
અતઃ = આનાથી અથવા બ્રહ્મજ્ઞાનથી થાય છે.
શબ્દાત્ = કારણ કે શબ્દ અથવા શ્રુતિનાં વચનથી એવું સાબિત થાય છે.
ઈતિ = એવું.
બાદરાયણઃ = બાદરાયણ જણાવે છે.
ભાવાર્થ
સંસારમાં સૌથી શ્રેષ્ઠ પુરૂષાર્થ પરમાત્માની પ્રાપ્તિનો છે. એના જેવો પરમ કલ્યાણકારક પુરૂષાર્થ બીજો કોઈ જ નથી. એ સંબંધી સર્વે શાસ્ત્રો અને સંતપુરૂષો સહમત છે. દેવદુર્લભ માનવદેહમાં આવીને વહેલામાં વહેલી તકે એ પુરૂષાર્થની સિદ્ધિ કરવાની છે. પરમાત્માની પ્રાપ્તિરૂપી એ પરમશ્રેષ્ઠ પુરૂષાર્થની સિદ્ધિના સાધન વિશે પોતાનો સ્વાનુભવ યુક્ત અભિપ્રાય આપતાં ભગવાન વેદવ્યાસ આ સૂત્રમાં જણાવે છે કે એ પુરૂષાર્થની સિદ્ધિ બ્રહ્મજ્ઞાનથી જ થઈ શકે છે. બ્રહ્મજ્ઞાન જ એનું સર્વોત્તમ સાધન છે. એનું સમર્થન ઉપનિષદના ઉલ્લેખો પરથી સહેજે થઈ રહે છે.
મુંડક ઉપનિષદ કહે છે કે 'બ્રહ્મને જાણે છે તે બ્રહ્મ જ બને છે.’ सयोहवै तत्परमं ब्रह्म वेद ब्रह्मैव भवति । તૈત્તિરીય ઉપનિષદ કહે છે કે 'જે બ્રહ્મને જાણે છે તે જ્ઞાની પુરૂષ પરબ્રહ્મની પ્રાપ્તિ કરી લે છે.’ ब्रह्मविदाप्नोति परम् । છાંદોગ્ય ઉપનિષદ જણાવે છે કે 'આત્માને જાણનાર સમસ્ત શોકમાંથી મુક્તિ મેળવે છે.’ तरति शोकमात्मवित् । એ અને એવાં બીજાં ઉપનિષદનાં વચનનો તાત્પર્ય ઉપર કહ્યું છે તેમ તદ્દન સ્પષ્ટ જ છે.
---
२. शेषत्वात्पुरूषार्थवादो यथान्येष्विति जैमिनिः ।
અર્થ
શેષત્વાત્ = કરમના અંગરૂપ હોવાથી.
પુરૂષાર્થવાદઃ = બ્રહ્મવિદ્યાને પુરૂષાર્થના હેતુ તરીકે બતાવવાનું અર્થવાદ માત્ર છે.
યથા = જેવી રીતે.
અન્યેષુ = યજ્ઞનાં બીજાં અંગોમાં ફળશ્રુતિ અર્થવાદ મનાય છે.
ઈતિ = એવું.
જૈમિનિઃ = આચાર્ય જૈમિનિનું કહેવું છે.
ભાવાર્થ
આચાર્ય જૈમિનિનો અભિપ્રાય જરાક જુદો છે. એમના મંતવ્ય મુજબ પુરૂષાર્થનું પ્રધાન સાધન જ્ઞાન નથી પરંતુ કર્મ છે. કર્મથી જ જીવનના પરમ પુરૂષાર્થની સિદ્ધિ થાય છે. બ્રહ્મવિદ્યાને ગમે તેટલી ઉત્તમ, આદર્શ અને આશીર્વાદરૂપ માનીએ તો પણ એ છે તો કર્મનું અંગ જ. કર્મથી એને છૂટી ના પાડી શકાય અને કર્મ સિવાય એને શક્ય પણ ના બનાવી શકાય.
---
३. आचारदर्शनात् ।
અર્થ
આચારદર્શનાત્ = ઉત્તમ પુરૂષોના આચાર દર્શનથી પણ વિદ્યા કર્મનું અંગ છે એવું સિદ્ધ થાય છે.
ભાવાર્થ
ઉપનિષદ પર દૃષ્ટિપાત કરવાથી સ્પષ્ટ રીતે સમજી શકાય છે કે પરમાત્માની પ્રાપ્તિ કરાવનારી બ્રહ્મવિદ્યા કર્મના જ અંગરૂપ છે અને એથી કર્મની સાથે જ પરમાત્મ-પ્રાપ્તિનું સાધન છે. શ્વેતકેતુને બ્રહ્મવિદ્યાનો ઉપદેશ આપનારા મહર્ષિ ઉદ્દાલક તથા યાજ્ઞવલ્ક્યે પણ ગૃહજીવનનો તથા કર્મોનો પરિત્યાગ નહોતો કર્યો. રાજા જનક જ્ઞાનના સર્વોત્તમ શિખર પર પહોંચેલા અને આત્મનિષ્ઠ હતા તો પણ એમણે કર્મનો ત્યાગ કરવાનું ઉચિત નહોતું માન્યું.
છાંદોગ્ય ઉપનિષદમાં આવે છે કે ઋષિઓ રાજા અશ્વપતિ પાસે બ્રહ્મવિદ્યાની પ્રાપ્તિ માટે ગયા ત્યારે રાજાએ એમનો સમુચિત સત્કાર કરીને કહ્યું કે હું હમણાં યજ્ઞની તૈયારી કરી રહ્યો છું. તમે અહીં રોકાઈ જાવ તો એકેક ઋત્વિજને જેટલું ધન આપીશ તેટલું ધન તમને પણ અર્પણ કરીશ.

