२८. सर्वान्नानुमतिश्च प्राणात्यये तद्दर्शनात् ।
અર્થ
સર્વાન્નાનુમતિઃ = સર્વ પ્રકારના અન્નને આરોગવાની અનુમતિ.
ચ = તો,
પ્રાણાત્યયે = અન્ન વિના પ્રાણ ના રહેવાનો સંભવ હોય ત્યારે જ આપી છે.
તદ્દર્શનાત્ = કારણ કે શ્રુતિમાં એવું જ જોવા મળે છે.
ભાવાર્થ
ઉપનિષદમાં ક્યાંક ક્યાંક એવું કથન મળે છે કે પ્રાણવિધાના રહસ્યને જે જાણી લે તેને માટે કોઈપણ અન્ન અભક્ષ્ય નથી રહેતું. તો સાધકે અન્નના સંબંધમાં લક્ષ્યાલક્ષ્યનો વિચાર કરવો જોઈએ કે નહિ તેનો નિર્ણય કરવા માટે આ સૂત્ર લખવામાં આવ્યું છે. સૂત્રકાર આ સૂત્ર દ્વારા પોતાના અભિપ્રાયને સ્પષ્ટ કરતાં કહે છે કે સામાન્ય રીતે તો પ્રત્યેક પુરૂષે અન્નની શુદ્ધિ-અશુદ્ધિનો કે યોગ્યાયોગ્યતાનો વિચાર કરીને શુદ્ધ અને સુયોગ્ય અન્ન જ ગ્રહણ કરવાનો નિયમ રાખવો જોઈએ. અન્નનો પ્રભાવ તન, મન અને અંતર પર પડે છે એ સુવિદિત છે.
---
२९. अवाधाच्च ।
અર્થ
અબાધાત્ = બીજી શ્રુતિનો બાધ ના હોવો જોઈએ એટલા માટે.
ચ = પણ.
ભાવાર્થ
આપત્કાળ સિવાયના બધા જ સમય દરમિયાન ઉત્તમ પ્રકારના આચારનો ત્યાગ ના જ કરવો જોઈએ. જો એવી રીતે આચારનો ત્યાગ કરવામાં આવે તો ઉપનિષદના વચનનો જ વિરોધ થશે. છાંદોગ્ય ઉપનિષદે સ્પષ્ટ રીતે અસંદિગ્ધ સ્વરે જણાવ્યું છે કે आहारसुद्धो सत्त्वशुद्धिः । 'આહારની શુદ્ધિથી અંતઃકરણની શુદ્ધિ થાય છે.’ શ્રુતિના એ આદેશનું અથવા અભિપ્રાયનું મહત્વ સમજીને અનુસરણ કરવું જોઈએ.
---
३०. अपि च स्मर्धते ।
અર્થ
અપિ ચ = એ ઉપરાંત.
સમર્યતે= સ્મૃતિ પણ એ જ વાતનું સમર્થન કરે છે.
ભાવાર્થ
શ્રુતિ પછીનું બીજું મહત્વનું સ્થાન સ્મૃતિનું છે. એના અભિપ્રાયને પણ મહત્વનો માનવામાં આવે છે. સ્મૃતિ દ્વારા પણ શ્રુતિની એ વાતને અનુમોદન આપવામાં આવ્યું છે. મનુસ્મૃતિમાં કહ્યું છે કે 'પ્રાણસંકટ પેદા થવાથી જે મનુષ્ય જ્યાંથી પણ અન્ન મળે છે ત્યાંથી એને ગ્રહણ કરી લે છે, તે મનુષ્ય, કાદવથી આકાશ નથી લેપાતું તેમ પાપથી નથી લેપાતો. તેને કોઈ પ્રકારનું પાપ નથી લાગતું.’
जीवितात्यमापन्नो योङन्नमत्ति यतस्ततः ।
आकाशमिव पङकेन न स पापेन लिप्यते ॥

