४३. बहिस्तूभयथापि स्मृतेराचाराच्च ।
અર્થ
તુ = પરંતુ.
ઉભયથાપિ = બંને રીતે પણ.
બહિઃ = એ અધિકારથી બહિષ્કૃત અથવા વંચિત છે.
સ્મૃતેઃ = કારણ કે સ્મૃતિ પ્રમાણથી.
ચ = અને.
આચારાત = શિષ્ટાચારથી પણ (એ જ વાતની સિદ્ધિ થાય છે.)
ભાવાર્થ
આચાર્યોમાંના કેટલાકના એવા અભિપ્રાય સાથે અસંમત થતાં સૂત્રકાર સુસ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે ઉચ્ચ આશ્રમનો ત્યાગ કરીને બીજા પહેલાંના આશ્રમમાં આવવાનું કાર્ય કોઈ રીતે ઈચ્છવા જેવું અને સારૂં નથી. એને સાધારણ પાપ માનવામાં આવે કે મહાન પાપ તો પણ એ અપરાધ અક્ષમ્ય જ છે. એ અપરાધની પાછળ વિવેક અને વૈરાગ્યની ત્રુટિ તથા ભોગોની રસવૃત્તિ અથવા આસક્તિ જ રહેલી છે એવા માનવો બ્રહ્મવિદ્યાના અધિકારી નથી. અને શ્રેષ્ઠ પુરૂષો એમની સાથે યજ્ઞ, સ્વાધ્યાય, લગ્નાદિ પ્રવૃત્તિમાં ભાગ ના લઈ શકે.
---
४४. स्वामिनः कलश्रुतेरित्यात्रेयः ।
અર્થ
સ્વામિનઃ = એ ઉપાસનામાં યજમાનનું જ કર્તાપણું છે.
ઈતિ = એવું.
આત્રેયઃ = આત્રેય માને છે.
ફલશ્રુતેઃ = કારણ કે શ્રુતિમાં યજમાનને માટે જ ફળનું વર્ણન કરેલું છે.
ભાવાર્થ
કર્મોના અંગરૂપ ઉદ્ ગીથ વિગેરેમાં જે ઉપાસના કરવામાં આવે છે એનો કર્તા કોને કહેવો ? યજમાનને કે કર્મ કરવાવાળા ઋત્વિક્ ને - એ વિષયની વિચારણાનો આરંભ કરતાં આચાર્ય આત્રીયનો અભિપ્રાય આપતાં જણાવે છે કે ફળનું વર્ણન કરનારાં ઉપનિષદ વચન પરથી સિદ્ધ થાય છે કે યજ્ઞના યજમાનને એનું ફળ મળતું હોવાથી એ ઉપાસનાનુ કર્તાપણું પણ યજમાનનું જ છે. છાંદોગ્ય ઉપનિષદમાં કહ્યું છે કે 'આ ઉપાસનાને જે આવી રીતે જાણે છે તે પુરૂષ વૃષ્ટિમાં પાંચ પ્રકારના સામની ઉપાસના કરે છે. એને માટે વરસાદ વરસે છે. એ વરસાદ વરસાવવા માટે શક્તિશાળી બને છે.’ બૃહદારણ્યક ઉપનિષદમાં પણ જણાવ્યું કે 'ઉદ્ ગાતા પોતાને તથા બીજાને માટે અર્થાત યજમાનને માટે જેની કામના સેવે છે એનું આગાન કરે છે.’ એનો સૂચિતાર્થ સ્પષ્ટ છે.
---
४५. आत्त्विज्यमित्यौडुलोमिस्तस्मै हि शरिक्रीयते ।
અર્થ
આર્ત્વિજ્યમ્ = કર્તાપણું ઋત્વિજનું છે.
ઈતિ = એવું
ઔડુલોમિઃ = આચાર્ય ઔડુલોમિનું મંતવ્ય છે.
હિ = કારણ કે.
તસ્મૈ = એ કર્મને માટે.
પરિક્રિયતે = એ ઋત્વિકનું યજમાન દ્વારા ધન વિગેરેથી વરણ કરાય છે.
ભાવાર્થ
આચાર્ય ઔડુલોમિનો અભિપ્રાય એવો છે કે કર્તાપણું યજમાનનું નથી પરંતુ ઋત્વિજનું છે; તો પણ યજમાન ઋત્વિજને ધનાદિથી પસંદ કરે છે એટલે કર્મનું ફળ યજમાનને મળે છે. ઋત્વિજને એ ફળ નથી મળતું. એનો અધિકાર તો દક્ષિણા પૂરતો જ સીમિત હોય છે.

