સ્વર્ગીય સુવાસ આપનારાં આ પુષ્પોને જોઈને
તને પ્યારા પ્રભુનું સ્મરણ નથી થતું ?
શા માટે પુષ્પો સમાં સ્નેહીને છોડીને
તું જંગલમાં જતો રહે છે
ને પ્રભુને યાદ કરવાની યાતનામાં પડે છે ?
ગુલાબી ગાલવાળાં આ બાળકોમાં
તને ઈશ્વરનું દર્શન નથી થતું ?
પ્રેમાળ પત્નીમાં પણ તેના પ્રેમનું મહાબિંદુ નથી મળતું ?
શા માટે તેમને તરછોડીને
તું જંગલમાં જાય છે ને ઈશ્વરના દર્શન માટે આક્રંદ કરે છે ?
આ આકાશના તારા ને આ વાદળની માળા....
એ સૌમાં તને શું માયાપતિની મધુરતાનું દર્શન નથી થતું ?
શા માટે તું ગુફામાં બંધ થાય છે
ને પ્રેમની પ્રાપ્તિ માટે પોકે પોકે રડીને તરફડે છે ?
હે પ્રિય સાધક,
તેં બધું મેળવેલું છે;
ફક્ત તને તેનું વિસ્મરણ થયું છે ને ઘેલછા લાગી છે;
કેમ કે એવી એક પણ વસ્તુ બતાવી શકીશ, જે એનાથી અલગ હોય ?
ને એવું એક પણ સ્થાન બતાવીશ, જ્યાં એ ના હોય ?
ફક્ત તારું દર્શન અધુરું છે;
ને એથી જ તારા જીવનમાં ઘર્ષણ થયું છે,
ઝેર જાગ્યું છે, ને અશાંતિએ ઘર કર્યું છે.
- શ્રી યોગેશ્વરજી