Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પધારો મંદિરે મારા, બધું જીવન કૃતાર્થ થશે,
સુવાસિત ઘર થશે સારું, યુગોનો અંધકાર જશે.

પ્રકટશો પ્રેમથી ત્યારે પ્રકાશિત વન થશે આખું,
હજારો સૂર્ય લજવાશે, વચન સાચે જ એ ભાખું.

સમાશે હર્ષ ના ઉરમાં, વહેશે રસ બની નયને,
થશે પુલકિત ખરે અંગાંગ, મળશે માધુરી મનને.
*
સુધાપાન કરીશ હું તમને નિહાળીને,
સમર્પિત થઈશ ચરણે શીશ ઢાળીને;
ભેટતાં ભાવે તમે મળશે મને શાંતિ,
નવો જન્મ થશે, વળી ફરશે બધી કાંતિ.

શક્તિ તેમજ યોગ્યતા સિદ્ધિ બધી મળશે,
તમારો મધુસ્પર્શ મારી દીનતા હરશે;
ભેદભાવ મટી જશે ને અલ્પતા ટળશે,
પ્રાણ મંગલગીતથી જીવન બધું ભરશે.

એ વખતનો કેટલો આનંદ દિવ્ય હશે,
એ અસીમ કૃતાર્થતાની જોડ ના જડશે;
સફળ બનતાં જિંદગી જયકાર શો કરશે,
પામતા નિજ પ્રાણ જગને પ્રાણથી ભરશે.

વળી મારી સાથ પ્રેમે તમે કરશો વાત,
વરસશે શી સુધાવૃષ્ટિ, ધન્ય બનશે જાત.
પ્રસાદી દેશો લઈને ગોદમાં મુજને,
હર્ષ એ કેવો હશે, ખવડાવશો મુજને !

મનોરથ પૂરા થશે, ઈચ્છા બધી ફળશે,
ક્ષુધા તેમ તૃષા સદાની પ્રાણની ટળશે.

કરી દેશો પ્રિય મને ને પ્રાણ નિજ ધરશો,
રહેશો સાથે સદા, સાથે સદા ફરશો.

એ ઘડી, એ અલૌકિક જીવન ચહું છું હું,
ઝંખતો કૈં વરસથી એ દિવ્ય પળને હું;
ઉદય એનો કરી દો, માનું મહા ઉપકાર,
કહે ‘પાગલ’ રહે ના મારા હરખનો પાર.

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit