પ્રદીપો પૃથ્વીનાં તિમિર હરવાને પ્રકટિયા
અનેકો, આહલાદે સકળ ભરવા ને રસ થકી
કરી દેવા આત્મા તમમય પરિપ્લાવિત નવા
પ્રકાશે, ને રેલ્યા કિરણ મધુરાં મર્ત્ય જગમાં.
પિછાનીને કૈંયે પ્રણયભર પ્રાણે સ્તુતિ કરી
પ્રદીપોને પૂજ્યા અમર ઉરના અક્ષત ધર્યા,
વળી સન્માનીને તિમિરપથ આલોકિત કર્યો
અનેકે પોતાનો શ્રમ સફર કેરો પરહર્યો.
નવા રૂપેરંગે નવલ કિરણે નૂતન સ્થળે
પ્રદીપો જાગ્યા ને સમય પર પોઢી પણ ગયા,
ધરિત્રીનો આત્મા અભિનવ છતાંયે નવ બન્યો
સદાકાજે, એના સુખઉમળકા શાશ્વત રહ્યા.
હજી માગે દીપો ક્ષુધિત વસુધા આ તમભરી,
પ્રદીપો જાગે તો ફિકર નવ ભારે તમ તણી.