ગંગાતટના એકાંત અરણ્યમાં ગીચ ઝાડીની વચ્ચે બે પર્ણકુટિ હતી. તેમાં એક સંન્યાસિની માતા પોતાની પુત્રી સાથે રહેતી હતી. માતા ઘણી પરગજુ, પ્રેમાળ ને પવિત્ર હતી.
કુદરતના ક્રમ પ્રમાણે એક વાર તેનું મૃત્યુ થયું. ને પેલી પ્રૌઢાવસ્થાએ પહોંચેલી પુત્રીના જીવન પર જાણે પાણી ફરી વળ્યું. તેણે રુદન કરવા માંડ્યું. ને તેની રાત્રી અખંડ જાગરણમાં વીતવા માંડી. તેનું જીવન વેરાન ને વિશેષતા વિનાનું બની ગયું.
ગંગાતટના એકાંત અરણ્યમાં બીજી તરફ એક બીજી પર્ણકુટી હતી. તેમાં એક યુવાન વૈરાગી તેના પિતા સાથે રહેતો હતો. પેલી કુમારી તેની પાસે શાંતિની આશાએ જવા માંડી. તેણે સંસારની અસારતાના ઉપદેશક બનીને સખત વદનથી કહેવા માંડ્યું : ‘અરે બેન, મૃત્યુ એવું જ નિશ્ચિત છે, તેનો શોક કરવામાં શાણપણ નહિ પણ દુર્બળતા છે.’ પણ કુમારીનો શોક ચાલુ જ રહ્યો.
દિવસો પછી એક વહેલી પ્રભાતે તે યુવાન વૈરાગીના પિતાને દૂરના દેશમાં જવાનું થયું. ને યુવાન એકલો પડ્યો. એ હવે વારંવાર પેલી કુમારીની પાસે જવા માંડ્યો. એના લેવાઈ ગયા જેવા વદનને જોઈને કુમારીને લાગણી થઈ આવી. તેણે કહેવા માંડ્યું કે: ‘માણસ કાંઈ પત્થર થોડો જ થઈ શકે છે ? માણસને પત્થર નથી બનાવ્યો તેનું કારણ એ જ કે ઈશ્વરે તેની પાસેથી લાગણીની આશા રાખી છે !’
એ દિવસે પહેલી જ વાર કુમારીએ નિર્ભય બનીને મુક્ત રીતે રડવા માંડ્યું, ત્યારે યુવાને તેને આશ્વાસન આપતાં કહ્યું કે : ‘મૃત્યુનો શોક મિથ્યા છે, પણ સ્નેહનાં આંસુ મિથ્યા નથી. મારા પિતા તો થોડા દિવસને માટે જ દૂર દેશમાં ગયા છે. પણ તારી માતા તો કાયમને માટે વિદાય થઈ છે. તેની મમતાને યાદ કરીને રાહત મેળવવાનો હક તને કેમ ના હોઈ શકે ? વિષાદને પી જઈને તું તેના પ્રેમને અંજલિ આપે તો તારાં આંસુ મિથ્યા નથી.’
- શ્રી યોગેશ્વરજી