મને છોડી દીધો કેમ ?
કાં હજી કરો ના રે’મ ?
સ્મરણમનનમાં વખત વીતાવું પૂજાતપમાં તેમ;
તમારી કૃપાકાજે તલસું કોઈ ‘પાગલ’ જેમ.
તમે જોઈ રે’તા કેમ ? ... મને છોડી દીધો કેમ.
ચાતકથી વધુ ચાહભરેલું અંતર આ મારું;
જીવું કૈંક દિવસથી દિલને વાસીને તાળું.
તોડો ના તેને કેમ ? ... મને છોડી દીધો કેમ ?
દીનદયાળ પતિતપાવન છો ઘણું સાંભળ્યું એમ;
મારે માટે ગઈ સુકાઈ સ્નેહસરિતા કેમ ?
વિસર્યા કાં મારું ક્ષેમ ? ... મને છોડી દીધો કેમ ?
હજી ઘણી વેળા છે આવો, આશ ફળે મારી,
ધન્ય જગતજીવનની ખોલી સત્વર દો બારી.
વરસાવો પ્રેમળ, પ્રેમ ! ... મને છોડી દીધો કેમ ?
(૨૭-૩-૧૯૫૮, ગુરૂવાર)
– © શ્રી યોગેશ્વરજી

