પોતાના પ્રીતમની પસંદગી માટે પોતે રચેલા સ્વયંવરથી નિરાશ થઈને, કવિતાદેવી સોળે શણગાર સજીને ચાલી નીકળી. એના શરીરની સુવાસથી સૃષ્ટિ સુવાસિત બની રહી.
માર્ગમાં એને એક મહાકવિની મુલાકાત થઈ ગઈ.
કવિએ વાતવાતમાં કહ્યું : દેવી, વરમાળા મારા જ કંઠમાં શોભે એમ છે. વરમાળા મને અર્પણ કરો. હું તમને રાજા મહારાજાની મુલાકાતે લઈ જઈશ; એમને પ્રસન્ન કરવાના બધા જ પ્રયાસ કરીને વધારે ને વધારે યશસ્વી થઈશ.
કવિતા એને મૂકીને આગળ વધી. ત્યાં તો થોડે દૂર એક શીઘ્રકવિ મળી ગયા.
તેમણે પ્રાર્થનાસ્વરમાં કહ્યું : મહાદેવી, મારા વિના તમારે માટે વધારે લાયક બીજું કોઈ જ નથી. હું તમને પ્રકૃતિની પાસે પહોંચાડીશ, ચૌટે ને ચકલે લઈ જઈશ, લોકરંજન કરીશ.
આગળ જતાં એક એકાંત આશ્રમમાં એક મુનિવરનો મેળાપ થઈ ગયો.
એમણે કહ્યું : દેવી, જનતાની જાગૃતિ માટે, સંસારની સુખાકારી, સમૃદ્ધિ, શાંતિ માટે, મારી મહેનત છે. તેમાં તમે મદદરૂપ થઈ શકતા હો તો આવો, મારા નાનાસરખા સૂના આશ્રમમાં તમારે સારુ આસન કરું ! તમને ફૂલની જેમ રાખીશ ને જીવને જોખમે તમારું જતન કરીશ.
કવિતા એમને કંઠે માળા ધરીને એમને વળગી પડી : એમની સનાતન સેવિકા બની !
(૧૬-૨-૧૯૬૦, મંગળવાર)
-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)