Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

જરી જેણે સ્વપ્ને પણ મરણનો શોક ન કર્યો
નકામો છે તેના શુચિ મરણનો શોક કરવો
જરી જેને સ્વપ્ને પણ મરણની ભીતિ ન થઇ
નકામી છે તેના શુચિ મરણની ભીતિ સઘળી.

હતો જેનાં હૈયે હરખ ન જરા જીવનતણો
જવાથી તેના છે અઘટિત ખરે શોક કરવો.
સદા નિર્મોહીના પ્રતિ નીરખવું મોહનયને
જરા એથી એને સમુચિત નથી ન્યાય મળતો.

બતાવ્યું એણે કે જનમમરણે નિશ્ચળ થવું
કરી કર્તવ્યોને સતત બનતાં નિર્મમ જવું,
મહાયાત્રાના આ સુખદજનક વિશ્રામસ્થળને
પરાયું જાણીને પરમપદને નિત્ય વરવું.

ગણી લીલા આ તો અભિનય કર્યો રાગ ન કર્યો,
વિસામો ખાઇને શ્રમ સફરકેરો સહુ હર્યો;
નકામો છે તેવા અભિનયતણો ખેદ કરવો,
ગણીને અજ્ઞાને મૃત અમૃતને ક્લેશ ધરવો.

 - શ્રી યોગેશ્વરજી