થયાં તમને કહો વરસો કેટલાં ?
તમે માનો એટલાં.
તોપણ કહો, ત્રીસ કે ચાલીસ,
સાઠ પચાસ કે
વધારે, સિત્તેર એંસી જેટલાં ? ના,
થયાં ના મુજને વરસ ના એટલાં.
તો કેટલાં ?
પૂછતાં જિજ્ઞાસુ તમને જાણવા.
તમે અંતે શાંતિપૂર્વક તેમને
કહેતાં કે જ્યારથી જાગી ગઇ
જ્ઞાનની દુનિયામહીં, અભિનવ મળી
જિંદગી આ ત્યારથી, હા ત્યારથી
હજી શૈશવમાં જ છું જીવી રહી.
ગૂઢ વાત તમે રહેતાં એ કથી.
થયો મોટો શેં મનાયે માનવી ?
- શ્રી યોગેશ્વરજી

