સંધ્યાકાળે સમદરતટે અપ્સરાથી અનોખી
દીસે છે આ પ્રથમ નજરે શ્વેતવસ્ત્રા મનોજ્ઞા
શ્રી સૃષ્ટિની સકળ ભરતાં અંગપ્રત્યંગમાંહી
ઊભી દીસે - નયન ન તજે એહને દેખવાનું,
ના ઈચ્છે કૈં અવર અધુના દેખવા, રોમરોમે
જાગી ઊઠી અગણિત અહા રાગકેરી સિતારી,
સંન્યાસીની વિચલિત બની વાસના-વૃતિ-વાણી.
બોલી બુદ્ધિ : ચપલ મનની વૃતિ વિદ્રોહ પામી
સંન્યાસીના નયનપટપે કાલિમા આમ જામી
દેખીને આ મધુર વદના શ્રેષ્ઠ સૌંદર્યરાજ્ઞી—
ની કાયાને મથન ઊરમાં તેમ અંગાંગ જાગ્યું
ચારે દિશે પ્રલય કરતું આકરું વાદ્ય વાગ્યું
તો સંસારી વિષયરત જે માનવી મોહ પામે
તેમાં કાંઈ અચરજ નહીં, એહનું કહેવું શું ?
- શ્રી યોગેશ્વરજી

