જડતાના છવાયાં છે જાળાં બધે,
વળી દુઃખના વાદળ છે ઉમટ્યાં;
રવિ છેક છુપાયો વિવેકતણો,
તમ ગાઢ છે અજ્ઞાનતાનાં ઉલટ્યા.
ત્યારે રેલ પ્રકાશ પવિત્ર જરી,
તારો ધર્મ વિચારી ઋષિ, ઉઠ હે;
કવિ, કામની ત્યારે કરી કવિતા,
જગને નવજીવનનું સુખ દે
કિરણો મધુ રેલ પ્રકાશતણાં,
વરસાવ વળી ઉરથી કરુણા;
વિષ વ્યાપી રહ્યું ડગલેપગલે,
દિવસે દિવસે વધે વેરવ્યથા.
ત્યારે શાંત વહાવ સુધારસ તું,
તારો ધર્મ વિચારી ઋષિ, ઉઠ હે
કવિ, કામની ત્યારે કરી કવિતા,
જગને નવજીવનનું સુખ દે
સજી સત્યના સાજ અસત્ય રચે,
વળી દંભ ને દર્પ બધેય ભમે;
અભિમાન ને સ્વાર્થની સાંકળમાં
જન બધ્ધ થયા કહે કોને ગમે ?
ત્યારે સત્ય સ્વતંત્રતા મંત્ર લઈ
તારો ધર્મ વિચારી ઋષિ, ઉઠ હે
કવિ, કામની ત્યારે કરી કવિતા,
જગને નવજીવનનું સુખ દે.
બહુ ગાયા સંગીત તેં ભાવભર્યા,
સુરા સુંદરી પ્રકૃતિ ને જનના;
જગપ્રાણ હજીપણ ગીત ચહે,
પરમાણુ હજીય અતૃપ્ત રહે.
ત્યારે કૈંક અલૌકિક ગાવાતણો,
તારો ધર્મ વિચારી ઋષિ, ઉઠ હે
કવિ, કામની ત્યારે કરી કવિતા,
જગને નવજીવનનું સુખ દે.
રડતાના નથી હજુ આંસુ ખુટ્યા,
નથી સાજાં થયાં વળી હૈયાં તુટ્યા
ભુખ દર્દ કુસંપ ને યુધ્ધતણી
વિકરાળ વધ્યે જાય જ્વાલા તણી
ત્યારે દિવ્યતાદૂત થઈ જલદી
તારો ધર્મ વિચારી ઋષિ, ઉઠ હે
કવિ, કામની ત્યારે કરી કવિતા,
જગને નવજીવનનું સુખ દે.
વસુધા નથી એક કુટુંબસમી,
ભય ભેદની તેમ ન હોળી શમી
શિવ સુંદર સત્યની સાધનામાં રહી
સેવા તણી ન સુવાસ રમી,
ત્યારે આંખડી ખોલ અનેરી હવે
તારો ધર્મ વિચારી ઋષિ ઉઠ હે
કવિ કામની ત્યારે કરી કવિતા,
જગને નવજીવનનું સુખ દે
કવિતા બન તું બસ આજ હવે,
કવિના કવિની કર પ્રીત હવે,
પછી જીવન દિવ્ય પ્રકાશ ધરે,
કિરણો જડચેતનમાં પ્રસરે
જગ નૂતન જીનવજ્યોત લભી
સુખ શાંતિ સમૃધ્ધિમાં સ્નાન કરે,
કવિ કામની થા કવિતા તું ભલે,
મને દિવ્ય સંતોષ સદાયે મળે..
- શ્રી યોગેશ્વરજી

