છૂટાં પડી શકો તો છૂટાં પડી શકો છો.
દિલમાં તમોને સ્થાપ્યાં, મમતાની સાથે માપ્યાં,
છો રોમરોમ વ્યાપ્યાં, ક્યાંથી જશો હવે તો ?
તોયે કહો તમે કે છૂટાં હવે પડીશું,
આ કાળના પ્રવાહે ક્યારે રહો મળીશું !
ના દેશકાળ પાડે છૂટાં કદીય ઉરને,
તન છો પડે અલગ પણ રાખીશું સાથ મનને.
તપના પવિત્ર તીર્થે સંયમતણી સુ-સરિતા,
મંદિર રચ્યું પ્રણયનું ગાતાં રસાળ કવિતા,
પૂજીશું પ્રેમે નિશદિન, ત્યાં આરતી ઉતારી
નૈવેદ્ય દિવ્ય ધરશું નિયમો સમસ્ત પાળી.
પ્રતિપળ સમીપ શ્વાસોશ્વાસે મળી રહીશું,
સરિતા ને સિંધુસરખાં સંગમમહીં વહીશું,
હું તો પડી શકું ના, જાણો તમે તમારી,
હૃદયે સદા રમો છો, ક્યાંથી ને ક્યાં જશો આ.
- શ્રી યોગેશ્વરજી

