ભૂગર્ભમાં જેમ પાણીનો પ્રવાહ વહ્યા કરે છે તેમ,
તારા પ્રેમના પ્રવાહને મારા અંતરના અંતરતમમાં વહેતો રાખીને
આ સંસારમાં હું શ્વાસ લેવાનું ચાલુ રાખીશ.
કોઈ તેનો પાર પામે નહિ ને તેના રહસ્યને જાણે નહિ તે રીતે હું તારા પ્રેમને સાચવી રાખીશ -
મારા જીવની જેમ જતન કરીને સાચવી રાખીશ.
લોકોને તેની શી વાત કરું ?
એ તો ચોક્કસ છે કે લોકો મારી વાતને ગાંડપણમાં ખપાવશે ને મારી સત્યતામાં માનશે નહિ.
અનેક પ્રકારની શંકા કરશે ને નિંદા પણ કર્યા કરશે.
ને તેમને જણાવવાની જરૂરેય શી છે ?
તેમના અભિપ્રાયની કીમતે શી છે ?
આપણા પોતાના પ્રાણના પરસ્પર વિનિમયની આ તો વાત છે.
તે આપણી જ વચ્ચે જીવંત રહે તે જ બરાબર છે.
બીજાને તેની માહિતી આપવાથી શો લાભ ?
કોઈવાર આપણા પ્રેમનો પ્રવાહ પ્રબળ બનતાં
આંસુ ને આહના રૂપમાં તે ટપકી પડે તે વાત જુદી છે.
બાકી તો તેનું રહસ્ય આપણી જ વચ્ચે જળવાઈ રહે તે જરૂરી છે.
આ માટે મજબૂત મનોબળ ને સહનશક્તિની જરૂર પડશે.
ને તેથી જ મારી પ્રાર્થના છે કે તમારા પ્રેમની મર્મભેદક વેદનાને સહન કરવાની -
શાંતિથી સહન કરવાની મને શક્તિ આપો.
- શ્રી યોગેશ્વરજી