अपाणिपादो जवनो ग्रहीता पश्यत्यचक्षुः स शृणोत्यकर्णः ।
स वेत्ति वेद्यं न च तस्यास्ति वेत्ता तमाहुरग्र्यं पुरुषं महान्तम् ॥१९॥
apanipado javano grahita
pasyatyachaksuh sa srnotyakarnah ।
sa vetti vedyam na cha tasyasti vetta
tamahuragryam purusam mahantam ॥ 19॥
હાથપાદ ના તેને તોયે બધી વસ્તુ તે ગ્રહણ કરે,
વેગસહિત સઘળે તે જાયે, આંખ વિના જ બધું ભાળે;
કાન વિના તે બધું સાંભળે, જ્ઞેય બધુંયે તે જાણે,
તેને કોઈપણ ના જાણે, જ્ઞાની આદિ મહાન કહે. ॥૧૯॥
અર્થઃ
સઃ - તે પરમાત્મા
અપાણિપાદઃ - હાથપગ વિનાના હોવાં છતાં પણ
ગ્રહીતા - બધી વસ્તુઓને ગ્રહણ કરનારા
જવનઃ - સર્વત્ર વેગપૂર્વક જનારા છે.
અચક્ષુઃ - આંખ સિવાય જ
પશ્યતિ - જુએ છે.
વેધમ્ - જાણવાયોગ્ય વસ્તુને
વેત્તિ - જાણે છે.
ચ - અને
તસ્યે વેત્તા - એને જાણનાર (કોઇ)
ન અસ્તિ - નથી
તમ્ - એમને
મહાન્તમ્ - મહાન
અગ્ય્રમ્ - આદિ
પુરુષમ્ - પુરુષ
આહુઃ - કહે છે.
ભાવાર્થઃ
પરમાત્મા પ્રાકૃત પુરુષની પેઠે ઇન્દ્રિયોવાળા નથી. અમને હાથપગ નથી તોપણ એ બધી વસ્તુઓને અને સમસ્ત સંસારને ગ્રહણ કરે છે ને નિયંત્રણમાં રાખે છે. સમસ્ત સંસારમાં સર્વત્ર સત્વર પહોંચવાની ક્ષમતાવાળા છે. આંખ સિવાય જુએ છે, કાન સિવાય સાંભળે છે, જાણવા જેવી સઘળી વસ્તુઓને - સમસ્ત જગતને જાણે છે, પરંતુ એમને કોઇપણ નથી જાણતું. શાસ્ત્રો અને સ્વાનુભવસંપન્ન શાસ્ત્રજ્ઞ સત્પુરુષો એમનો સૌથી મહાન, શ્રેષ્ઠ, આદિ પુરુષ અથવા પરમપુરુષ પુરુષોત્તમ તરીકે ઓળખે છે અને ઓળખાવે છે.